આહવા-અમદાવાદ એસ.ટી. બસ શિવઘાટમા પલટી : સાત લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી :

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર હાથ ધરી ત્વરિત કામગીરી : કલેકટરશ્રીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી

  આહવા: તા: ૫: વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી સવારે નવ વાગ્યે ઉપડતી આહવા-અમદાવાદ એસ.ટી.બસને આહવા નજીક શિવઘાટમા અકસ્માત નડ્યો છે.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાથી મળેલી વિગતો અનુસાર આહવા ડેપોની આહવા-અમદાવાદ એસ.ટી. બસ નંબર : GJ 18 Z 7901 આજે સવારે આહવા બસ સ્ટેન્ડથી ૯:૩૦ કલાકે ઉપડી હતી. જેને આહવાથી માત્ર ત્રણ જ કિલોમીટરે શિવઘાટમા અકસ્માત નડ્યો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર આ બસ શિવઘાટના વણાંકમા પલટી મારી જતા, આ માર્ગ વાહન વ્યવહાર માટે બન્ધ થવા પામ્યો હતો. સદનસીબે આ બસ પંદરસો ફૂટ ઊંડી ખીણમા ખાબકતા બચી જવા પામી હતી. બસના સાત જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચવા સિવાય કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.

ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાને ઘટનાની જાણ થતા તાબડતોબ ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિહજી ચાવડા તથા તેમની ટિમને ઘટના સ્થળે રવાના કર્યા હતા. જ્યાંથી સ્થાનિક પોલીસ, પ્રશાસન, અને પ્રજાજનોની મદદથી ઇજાગ્રસ્ત મુસાફરોને આહવાની સિવિલ હોસ્પિટલમા પહોંચાડી તેમને ત્વરિત સારવાર માટેના નિર્દેશ આપ્યા હતા. કલેક્ટરશ્રીએ પણ સિવિલ હોસ્પિટલમા પહોંચી ઇજાગ્રસ્તોની જાત મુલાકાત લીધી હતી.

પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ આહવા ઘાટ માર્ગ અવરોધતા, વઘઇ થી આહવા વચ્ચેનો વાહન વ્યવહાર ચિકટિયા થી જામલાપાડા માર્ગ પર ડાયવર્ટ કરી, અસરગ્રસ્ત માર્ગ બહાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત ગ્રસ્ત બસના ડ્રાયવર શક્તિસિંહ જાડેજા, તથા કન્ડક્ટર ગણપતભાઈ ફરજ પર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

Share this Article
Leave a comment