ડાંગ જિલ્લામા યોજાયો સુશાસન દિવસ ; “સાત પગલા ખેડૂત કલ્યાણના” કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને અપાયા વિવિધ લાભો

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા ખાતે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ઉપસ્થિત રહી લાભોનુ કર્યું વિતરણ

આહવા; તા; ૨૬; તારીખ ૨૫મી ડીસેમ્બર એટલે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી બાજપેયીનો જન્મ દિવસ. આ દિવસને ભારત સરકાર દ્વારા “સુશાસન દિવસ” તરીકે ઉજવવામા આવે છે. જેના ભાગ રૂપે દેશ આખામા યોજાયેલા ખેડૂત કલ્યાણના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ગુજરાત રાજ્યમા પણ છેક તાલુકા કક્ષા સુધી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામા આવ્યા હતા. જે મુજબ ડાંગ જિલ્લામા પણ ત્રણેય તાલુકાઓમા “સાત પગલા ખેડૂત કલ્યાણના” કાર્યક્રમો યોજાયા હતા. આહવા ખાતે રાજ્યના વન, આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમા કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ વેળા મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓના વિવિધ લાભોનુ વિતરણ કરવા સાથે, કેન્દ્ર સરકારના કૃષિ સુધારા બીલના સમર્થનમા આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોની જાણકારી આપવામા આવી હતી. મંત્રીશ્રીએ કૃષિ સુધારા બીલની જોગવાઈઓ અને તેમા રહેલા ખેડૂત હિતલક્ષી વિવિધ પાસાઓની છણાવટ સાથે ખેડૂતોને ગેરમાર્ગે નહિ દોરાવાની અપીલ કરી હતી.

આહવાના આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓ સહીત જુદા જુદા વિભાગોના લાભાર્થીઓને પણ વિવિધ યોજનાકીય લાભોનુ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામા આવ્યુ હતુ. સાથે જિલ્લાના પશુપાલકોની સેવામા ફરતા પશુ દવાખાનાઓને પણ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતુ.

ડાંગ દરબાર હોલમા આયોજિત આહવાના કાર્યક્રમ દરમિયાન સામાજિક કાર્યકરો સર્વશ્રી દશરથભાઈ પવાર, હરિરામ સાવંત સહીત જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આહવા સહીત જિલ્લાના સુબીર અને વઘઈ ખાતે પણ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જ્યા તાલુકા કક્ષાના અધિકારો, પદાધીકારો અને ખેડૂતોએ ઉપસ્થિત રહી દ્રશ-શ્રાવ્ય માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશાનુ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ. તમામ કાર્યક્રમોની વ્યવસ્થા સ્થાનિક વહીવટીતંત્રની મદદથી ખેતીવાડી, બાગાયત, પશુપાલન, અને આત્માના અધિકારી, કર્મચારીઓ દ્વારા હાથ ધરવામા આવી હતી.

Share this Article
Leave a comment