ડાંગના પ્રજાજનોની સેવા માટે ‘આઈ.સી.યુ.ઓન વ્હીલ’નુ લોકાર્પણ કરાયુ : વનબંધુ આરોગ્ય ધામની આરોગ્યલક્ષી સેવાઓમા ઉમેરાયુ વધુ એક મોરપીંછ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા: તા: ૧૬:  છેક અમેરિકાના બોસ્ટનથી ગુજરાતના છેવાડે આવેલા દુર્ગમ પ્રદેશ એવા ડાંગ જિલ્લામા સેવાની ધૂણી ધખાવનારા ‘વનબંધુ આરોગ્ય ધામ’ની સેવાઓમા ‘આઈ.સી.યુ.ઓન વ્હીલ’ ના નામેવધુ એક મોરપીંછ ઉમેરાવા પામ્યુ છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે ડાંગના પ્રજાજનોને વધુ બહેતર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય, અને સાથે સાથે ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા આધુનિક આરોગ્ય સુવિધાઓના સ્વપ્નદ્રસ્ટા સ્વર્ગસ્થ ડો.અશોકભાઈ પટેલના સ્વપ્નને ધીમે ધીમે સાકાર સ્વરૂપ આપી શકાય, સાથે જરૂરિયાતમંદ પ્રજાજનો, અને દાતાઓની આશા અપેક્ષાઓની પણ પૂર્તિ કરી શકાય તે માટે વચનબદ્ધ સંસ્થાની શાસનનધુરા સાંભળનારા ટ્રસ્ટી અને ડૉ.અશોકભાઈ પટેલના સુપુત્રી ડો.નિરાલી પટેલે ‘વનબંધુ આરોગ્ય ધામ’ ની આ પ્રતિબદ્ધતા છે, તેમ જણાવ્યુ હતુ.

જોગાનુજોગ આજે ડો.અશોકભાઈ પટેલના બીજા સુપુત્રી અને સંસ્થાના ટ્રસ્ટી ડો. નતાશા પટેલનો જન્મદિવસ પણ હોય, આ સુવિધા પ્રજાર્પણ કરીને જન્મદિનની પ્રેરણાત્મક ઉજવણી પણ કરવામા આવી છે, તેમ ડો.નિરાલી પટેલે વધુમા ઉમેર્યું હતુ.

‘આઈ.સી.યુ. ઓન વ્હીલ’ ની તકનીકી જાણકારી આપતા સંસ્થાના ડો. નિર્મલ પટેલે આધુનિક સાધન સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સમા સમાવિષ્ટ ઉપકરણો અને તેની જરૂરિયાત તથા ઉપયોગો અંગેની જાણકારી પુરી પાડી હતી.

સંસ્થાના સલાહકાર એવા કર્મયોગી શ્રી વિમલભાઇ દેસાઈએ સંસ્થાની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની વિગતો પુરી પાડી કાર્યક્રમની ધૂરા સાંભળી હતી.

એમ્બ્યુલન્સ ને રીબીન કાપીને પ્રસ્થાન કરાવતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીતે સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. આ અવસરે સંબંધિત સ્વયંસેવકો અને સેવાભાવી સંસ્થાઓ ‘જનસેવા ગ્રુપ’ તથા ‘સાયબર ગ્રુપ’ ના કાર્યકરો વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

Share this Article
Leave a comment